Friday, April 20, 2012

મહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી – જીવતીજાગતી મિસાલ છે ‘ચમક’

મહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી. આની જીવતીજાગતી મિસાલ છે બેંગ્લુરુ સ્થિત કપડાં વોશ કરી આપતી ‘વિલેજ લોન્ડ્રી સર્વિસીસ’, જે ટૂંકમાં ‘ચમક’ નામે પણ ઓળખાય છે.
નામ: અક્ષય મહેરા
કંપની: વિલેજ લોન્ડ્રી સર્વિસ (ચમક)
અભ્યાસ: કોલકાતાની આઇ-આઇ-એમ માંથી ગ્રેજ્યુએટ
હોદ્દો: સીઇઓ
લક્ષ્ય: ૧૪૦૦ આઉટલેટ્સ સાથે વાર્ષિક ટર્નઓવર ૬૦ કરોડ રૂપિયા
વારંવાર આપણને સાંભળવા મળતું હોય છે કે આપણા દેશમાં બેકારીનું પ્રમાણ વધતું જાય છે. આનો અર્થ એવો નથી કે આપણા દેશમાં કામધંધાની તંગી છે. ઓછું ભણતર અને ઓછા મૂડીરોકાણથી પણ વેપાર તો થઇ જ શકે, પણ કદાચ આપણે લોકો જ તેને નાનું અથવા ઊતરતી કક્ષાનું કામ માનીને મોઢું મચકોડતા હોઇએ છીએ. એમ તો આપણી નજર સામે એવાંય કેટલાં બધાં ઉદાહરણ છે કે જેમણે વેપારક્ષેત્રે નવો ચીલો ચાતર્યો છે.
તેમની સફળતાનું કારણ વેપાર-ઉદ્યોગ પ્રત્યે તેમની અલગ વિચારસરણી જ કહી શકાય. મહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી. આની જીવતીજાગતી મિસાલ છે બેંગ્લુરુ સ્થિત કપડાં વોશ કરી આપતી ‘વિલેજ લોન્ડ્રી સર્વિસીસ’, જે ટૂંકમાં ‘ચમક’ નામે પણ ઓળખાય છે. આપણા દેશમાં કપડાં ધોવડાવવા પાછળ લોકો વર્ષે ૩,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી કાઢે છે. બોલો, આ જાણીને તમારી આંખોય પહોળી થઇ ગઇ છે.
ભય અને ચિંતામાંથી જન્મી વિલેજ લોન્ડ્રી સર્વિસ
બીજો આંચકો તમને કદાચ એ જાણીને લાગશે કે ‘ચમક’ના સંસ્થાપક હરિ નાયર અને અક્ષય મહેરા એવા શિક્ષિત યુવાનો છે કે જેમણે ૨૪ વર્ષ સુધી એફએમસીજીના માર્કેટમાં મોટી જવાબદારી સંભાળી છે. વિલેજ લોન્ડ્રી સર્વિસીસના સીઇઓ અક્ષયે કોલકાતાની આઇઆઇએમમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. એક ઇન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું છે, ‘મારા જેવા ઘણા યુવાનોને મેં બેંગ્લુરુના આઇટી સેક્ટરમાં જોયા કે જેઓ સામાન્ય વાતે ખૂબ જ ચિંતાતુર હતા, મૂંઝવણમાં હતા. આ નાનકડી વાત એ હતી કે પાંચ દિવસ સતત કામમાં વ્યસ્ત રહ્યા બાદ રજાના દિવસે તેમણે પોતાનો ધોબીઘાટ કાઢવો પડતો.
આમ, રજા અને મજાના દિવસે પોતાનાં કપડાં ધોવાને કારણે રજાની મજા જ બગડી જાય છે. એમ તો આપણા દેશમાં ગલી-મહોલ્લામાં એક ધોબી અચૂક હોય જ છે કે જેઓ ઓછા રૂપિયામાં કપડાં ધોઇ પણ આપે ને પ્રેસ પણ કરી આપે, પણ મનમાં એ ડર તો રહે જ કે ક્યાંક મોંઘાં ને બ્રાન્ડેડ કપડાં તેમનાથી ખરાબ થઇ જશે તો! જોકે ડ્રાયકલીનર્સ છે, પણ તેઓ મોઢું ફાડીને રૂપિયા લે છે. આ અનુભવ પછી મેં રોડસાઇડના ધોબી અને ડ્રાયકલીનર્સ વચ્ચેની ખૂટતી કડી સાંધી. આખરે મેં સારો ડિટર્જન્ટ અને મોડર્ન મશીનોનો ઉપયોગ કરી વાજબી કિંમતે લોન્ડ્રીના આઉટલેટ્સ ખોલવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને અમલમાં મૂકતાં જ ૨૦૦૮માં ‘વિલેજ લોન્ડ્રી સર્વિસ’ની સ્થાપના થઇ.
પ્રોફેશનલ ચમક
અક્ષય મહેરાએ ‘ઇન્નોસાઇટ વેન્ચર્સ એન્ડ કાલવર્ટ ઇન્વેસ્ટમેન્ટ’ દ્વારા મૂડી એકઠી કરી ફ્રેન્ચાઇઝીનું આઉટલેટ શૃંખલા ‘ચમક’ની સ્થાપના કરી. સામાન્ય ધોબી જે કામ કરે છે એ જ કામ કરવાની ‘ચમક’ની રીત તદ્દન પ્રોફેશનલ છે. એટલે કે કપડાં ધોવા માટે ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીન, વોટર એક્સટ્રેકટ્સ, ડ્રાયર્સ, ડ્રાયકલીનિંગ મશીન તેમ જ ફિનિશિંગ જેવાં ઉપકરણોનો ઉપયોગ કરે છે. વળી, કપડાં ધોવા માટે બિનહાનિકારક ડિટર્જન્ટ જ વાપરે છે.
એટલું ખરું કે ગલી-મહોલ્લાની લોન્ડ્રીઓ કરતાં ચમકનો દામ થોડો વધારે છે, પણ હાઈ એન્ડ ડ્રાયકલીનર્સ ઓછા ભાવે કરી આપે છે. ચમક નંગ દીઠ નહીં, પણ કિલોના ૬૦ રૂપિયાના ભાવે કિંમત વસૂલે છે. ૬૦ રૂપિયામાં અંદાજે ૧૦ શર્ટ-પેન્ટ ધોવાઇને ઇસ્ત્રીટાઇટ થઇ જાય. ગ્રાહકોને આવવા-જવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ માટે ચમક એસએમએસ અને મોબાઇલથી બિલિંગ કરે છે.
ચમક આઉટલેટ્સનો ફેલાવો કરવાની પણ અક્ષયે સારી રીત શોધી કાઢી છે. સૌ પ્રથમ તો ૬ બાય ૬ ફૂટનો આકાર હોવાથી આ આઉટલેટ ગમે ત્યાં ખોલી શકાય છે. જેમ ગલીમાં લોન્ડ્રીની દુકાન હોય છે. બિલકુલ એ જ રીતે ચમક આઉટલેટ્સને ફ્રેન્ચાઇઝીના આધારે વિસ્તારવામાં આવી છે. અક્ષય મહેરા અને તેમની ટીમ ઓછું ભણતર ધરાવતા યુવાનોને ટાર્ગેટ કરે છે, તેમને ટ્રેનિંગ આપે છે અને તેમની આઉટલેટ્સની કામ કરવાની રીત પર નિયમિત ધ્યાન આપે છે.
અક્ષયની કાર્ય કરવાની આ પદ્ધતિ જ તેમને સફળતા અપાવવામાં મદદરૂપ બની. આ જ કારણે એક વર્ષમાં અક્ષય મહેરાએ બેંગ્લુરુ અને મૈસૂરમાં બે ડઝન આઉટલેટ્સ ખોલ્યા. ગ્રાહકોનો રિસ્પોન્સ અને ફ્રેન્ચાઇઝીના આધારે ચમકનું સંચાલન કરવામાં રસ ધરાવતા યુવાનોની સંખ્યાના આધારે અક્ષયને એટલો તો ભરોસો છે કે ત્રણ વર્ષમાં દેશભરમાં ૧૦૦૦ કરતાં વધારે લોન્ડ્રીના આઉટલેટ્સ થઇ જશે.
અક્ષય મહેરાએ રોડ સાઇડ લોન્ડ્રીના વેપારથી યુવાનોને ઓછા મૂડીરોકાણે અને ઓછા ભણતરે સારી કમાણી કરવાનો મોડર્ન ઉપાય બતાવ્યો છે. ચમકનું સંચાલન કરતા મની, શંકર, સંવત, મંજુનાથ કહે છે કે પહેલાં તો તનતોડ મહેનત કરવા છતાં ઓછા પગારને કારણે દુ:ખી હતા, પણ આજે સારો પગાર મેળવીએ છીએ અને જે કારણે લોકો નાનું કે ઊતરતી કક્ષાનું માને છે એ કામ કરીને અમે માન પણ મેળવીએ છીએ.

કોમ્યુનીકેશનનું મહત્વ

એક ગામમાં એક ઝાડ નીચે એક સંત મહાત્મા બેઠા હતા, તેઓને આંખે અંધાપો હતો, તેથી જોઈ શકતા ના હતા,એક દિવસ એક વ્યક્તિ આવીને તેઓને પૂછે છે: ” એય બુઢ્ઢા થોડા સમય માં તે અહીંથી કોઈ વ્યક્તિ ને પસાર થતા જોઈ?”
મહાત્મા: ના ભલા માણસ. અહીંથી કોઈ પસાર થયું નથી, તે વ્યક્તિ ચાલ્યો જાય છે.થોડા સમય બાદ બીજી વ્યક્તિ આવીને પૂછે છે કે “હે સાધુ પુરુષ, શું તમે થોડા સમય પહેલા અહીંથી કોઈ વ્યક્તિને પસાર થતા જોઈ છે?”
મહાત્મા: નહિ, મેં નથી જોઈ, પરંતુ તમારા પહેલા પણ એક વ્યક્તિ આ પુછવા માટે આવ્યો હતો. તે વ્યક્તિ ચાલ્યો જાય છે.
થોડા સમય બાદ એક અન્ય વ્યક્તિ આવીને પૂછે છે કે: “હે સંત મહાત્મા શું આપે થોડા સમય પહેલા અહીંથી કોઈ ને પસાર થતા જોયા છે? “મહાત્મા: હા મહારાજ, થોડા સમય પહેલાજ અહીંથી તમારો સિપાહી અને ત્યારબાદ તમારો વજીર પસાર થયા છે.
તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ જાય છે અને મહાત્માને પૂછે છે કે, હે સંત પુરુષ હું જાણું છું કે આપ જોઈ શકતા નથી તો પછી આપણે કેવી રીતે ખબર પડી કે હું આ રાજ્યનો રાજા છું અને થોડા સમય પહેલા મારો સિપાહી અને વજીર અહીંથી પસાર થાયછે?
મહાત્મા: સાચી વાત છે મહારાજ કે હું જોઈ નથી શકતો પરંતુ હું તેઓની ભાષા અને તે બોલવાની પદ્ધતિ પરથી તેઓને ઓળખી ગયો હતો, પહેલા જે વ્યક્તિ આવી તેમને ખુબજ ઉધ્દાતાઈ પૂર્વક વાત કરી અને ત્યારબાદ આવનાર વ્યક્તિએ નમ્રતાથી વાત કરી, પરંતુ તમે ખુબજ સૌજન્યતા પૂર્વક વાત કરી તેથી મેં આવું અનુમાન લગાવ્યું.
બોધપાઠ:
આપને માત્ર આપના બાહ્ય દેખાવ પરથીજ નથી ઓળખાતા પરંતુ આપનો આંતરિક દેખાવ, વાતચીત કરવાની કળા, વગેરે દ્વારા પણ આપણું વર્તન અને ચારિત્ર્ય નો અંદાજ લગાવી શકાય છે, આ જ તો છે કોમ્યુનીકેશનનું મહત્વ, હંમેશા કઈ પણ બોલતા પહેલા વિચાર કરો અને પછીજ બોલો. કારણકે કોમ્યુનીકેશન એટલે શું બોલવું, ક્યારે બોલવું, કેવીરીતે બોલવું અને ક્યારે મોઢું બંધ રાખવું.

જીંદગીમાં ઉતાવળ ન કરવા જેવી અગિયાર બાબતો કઈ ?

* સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરશો અને સંબંધ તોડવામાં પણ ઉતાવળ ન કરવી સંબંધને ધીમે ધીમે વિકસવા દેવો.
* ક્રોધ કરવામાં કયારેય ઉતાવળ ન કરવી, લડાઈ- ઝઘડામાં પણ ઉતાવળ ન કરવી.
* કોઈ વિશે ઉતાવળે અભિપ્રાય ન બાંધવો કે ન જાહેર કરવો. ધીમે- ધીમે વ્યક્તિનું મૂલ્યાંકન કરતા રહેવું.
* ઉતાવળે વિશ્વાસ પણ ન કરવો અને ઉતાવળે શંકા કે અવિશ્વાસ પણ ન કરવો. અતિ વિશ્વાસ ખતરનાક પણ નીવડીશકે એટલે ધીરે ધીરે, અનુભવને આધારે વ્યક્તિને વિશ્વાસપાત્ર ગણવી.
* ઉતાવળે અમર બની જવાના ખ્વાબમાં ન રાચવું કે ઉતાવળે સાહસિકતા ન દાખવવી. સમસ્યા, સંજોગો, પરિસ્થિતિ, પરિબળો અને સાધનોનું મૂલ્યાંકન કરી નિર્ણય લેવો.
* સંજોગો વિપરીત હોય ત્યારે હંિમત હાર્યા સિવાય ધૈર્યપૂર્વક ઉચિત સમયની રાહ જોવી. બેબાકળા બનવું નહિ.
* કોઈએ કહેલી વાત ઉતાવળે સાચી માની લેવી નહીં. કોઈના પર ઉતાવળે કશો આક્ષેપ કરવો નહિ.
* પ્રેમ, મૈત્રી કે વિવાહમાં ઉતાવળ કરી પાછળથી પસ્તાવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી.
* ઉતાવળે કોઈને ગુરૂ ન બનાવવા કે ઉતાવળે કોઈના શિષ્ય ન બનવું
* કોઈ પ્રશંસા કરે એટલે ઉતાવળે ખુશ ન થવું કે ફૂલાઈ ન જવું પણ એવી પ્રશંસા કરવા પાછળનો ઉદ્દેશ તપાસી જવો.
* ઉતાવળે ન ખરીદી કરવી, ન વેચાણ કરવું, ઉતાવળે દેવું ન કરી બેસવું (વગર વિચાર્યે) ઉતાવળે ન કોઈને નોકરીએ રાખવો કે ઉતાવળે તેને જાકારો આપવો. ઉતાવળે ન પોલીસ ફરિયાદ કરવી કે ન ન્યાયાલયના દ્વાર ખટખટાવવા.
*જીંદગી મૂલ્યવાન છે, એને ઉતાવળે જીવી લેવાની લ્હાયમાં ધમપછાડા કરી જીંદગીની મૂલ્યવાન ક્ષણોને વેડફી દેનારને કોઈ શાણો કહે ખરું ?

Wednesday, April 11, 2012